મહારાષ્ટ્રમાં તાજેતરની સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને એનસીપીના ગઠબંધન હેઠળના મહાયુતિ દ્વારા કારમા પરાજયનો સામનો કર્યા બાદ ટેન્શનમાં આવી ગયેલા ઠાકરે બંધુઓએ હવે મોટો નિર્ણય કર્યો છે. આગામી બીએમસી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ એકસાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જે બાદ તેમના પરિજનો બંને દિગ્ગજની આરતી ઉતારતા દેખાયા હતા.
મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં કારમા પરાજય બાદ વિપક્ષ એક્ટિવ મોડમાં છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ હવે બીએમસી સહિત મહારાષ્ટ્રની કુલ 29 નગર નિગમની ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. બંને ઠાકરે બંધુઓએ મુંબઈમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ગઠબંધન વિશે ઔપચારિક જાહેરાત કરી હતી.
આ દરમિયાન પત્રકારો સમક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારા વિચારો એક જેવા જ છે. અમને મરાઠીઓના સંઘર્ષ અને બલિદાન યાદ છે. આજે અમે બંને ભાઈઓ ફરી એકજૂટ છીએ. આ મામલે શિવસેના (યુબીટી) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું પણે ઠાકરે બંધુઓ હવે એકજૂટ થઈ ગયા છે. પ્રજાના કોઈ કામ થયા નથી. પ્રજાના પૈસા લૂંટાયા છે. રાજકારણ અમારા માટે એક સેવાનું માધ્યમ છે. એનડીએના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકાર જુઠ્ઠી છે. મેયર અમારા જ હશે. મરાઠીને જ મેયર બનાવીશું.
સંજય રાઉતે કહ્યું કે આ એક મોટો દિવસ છે. બાલાસાહેબનો સંપૂર્ણ પરિવાર આજે એકજૂટ છે. પરિવારની સાથે આજે બાલાસાહેબના પરિવારનું પણ ગઠબંધન થઈ ગયું છે. તેનો મોટો ફાયદો અમને બીએસી અને સ્થાનિક એકમની ચૂંટણીમાં થવાનો છે.














Leave a Reply