પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને લઈને એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મદરેસા શિક્ષણ નિયામક દ્વારા 19 મે, 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, અગાઉના તમામ નિયમો અને પ્રથાઓને તાત્કાલિક અસરથી રદ કરીને હવે દરરોજ વર્ગો શરૂ થાય તે પહેલાં થતી પ્રાર્થનામાં ‘વંદે માતરમ્’ ગાવું અનિવાર્ય રહેશે.
સરકારી અને ખાનગી તમામ મદરેસાઓમાં લાગુ પડશે નિયમ
રાજ્ય સરકારનો આ નવો નિયમ પશ્ચિમ બંગાળની તમામ પ્રકારની મદરેસાઓ માટે લાગુ રહેશે. તેમાં સરકારી મોડલ મદરેસા (ઇંગ્લિશ મીડિયમ), સરકારી સહાય મેળવનારી માન્યતા પ્રાપ્ત મદરેસાઓ, અપ્રૂવ્ડ MSK, અપ્રૂવ્ડ SSK તેમજ ગેર-સહાયિત ખાનગી મદરેસાઓનો પણ સમાવેશ થાય છે.
આ આદેશનો તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન અને સંબંધિત વિભાગોને સૂચના પાઠવવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણય સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે.
‘વંદે માતરમ્’ને ‘જન ગણ મન’ સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય
બીજી તરફ, પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીમાં જીત બાદ કેન્દ્ર સરકાર દ્વારા પણ ‘વંદે માતરમ્’ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમકક્ષ કાનૂની દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગાન જેવી જ કાનૂની સુરક્ષા આપવાનો છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ ‘વંદે માતરમ્’ દરમિયાન અપમાન કરવું, અવરોધ ઉભો કરવો અથવા ખલેલ પહોંચાડવી ગંભીર અને કોગ્નિઝેબલ ગુનો ગણાશે.
અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે
હાલમાં રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણના અપમાન સામે કડક કાનૂની જોગવાઈઓ અમલમાં છે. હવે કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સુધારાથી આવી જ જોગવાઈઓ ‘વંદે માતરમ્’ માટે પણ લાગુ થશે. નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ જાણતા હોવા છતાં રાષ્ટ્રગાન કે રાષ્ટ્રીય ગીત દરમિયાન અવરોધ ઉભો કરે છે અથવા અપમાનજનક વર્તન કરે છે તો તેની સામે 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. વારંવાર ગુનો કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે.














Leave a Reply