અમદાવાદના ઘાટલોડિયા અને ગોતા વિસ્તારમાં પીવાના દૂષિત પાણીના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં તંત્ર દોડતું થયું છે. છેલ્લા ચાર દિવસમાં અંદાજે એક હજારથી વધુ લોકો ઝાડા-ઉલટી અને પેટ સંબંધિત બીમારીઓનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી અને અમદાવાદના મેયર સાથે ટેલિફોનિક ચર્ચા કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા આ વિસ્તારમાં સર્જાયેલી સ્થિતિ અંગે ગૃહમંત્રીએ મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. હાલ તંત્ર દ્વારા સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રોગચાળાને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગની 40 ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. આ ટીમો ઘર-ઘર જઈને આરોગ્ય સર્વે કરી રહી છે તેમજ લોકોને ક્લોરિનની ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
અસરગ્રસ્ત સોસાયટીઓમાં પીવાના શુદ્ધ પાણી માટે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેરો અને ટેકનિકલ સુપરવાઇઝરોને સોસાયટીઓની પાણીની ટાંકીઓની તપાસ કરીને જરૂર જણાય ત્યાં સફાઈ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના કુલ 19 નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા છે. બુધવાર સુધીમાં 11 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે.
આ સમગ્ર ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સતત રજૂઆતો છતાં તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા હતા.













Leave a Reply