જાહેર પરિવહનની જીવાદોરી ગણાતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં ખાનગીકરણની નીતિ અને કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોને લઈને ગુજરાત એસટી મઝદૂર મહાસંઘે 18થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કર્યું છે. આંદોલન દરમિયાન એસટી કર્મચારીઓ વિવિધ કાર્યક્રમો દ્વારા પોતાની માંગણીઓ સરકાર અને નિગમ સમક્ષ રજૂ કરશે.
ખાનગીકરણના નિર્ણય સામે કર્મચારીઓમાં ભારે અસંતોષ
એસટી નિગમ દ્વારા ખાનગી એજન્સીઓ પાસેથી કરોડો રૂપિયાના ખર્ચે બસો ભાડે લેવાનો તેમજ આઉટસોર્સિંગ પદ્ધતિથી અંદાજે 4 હજાર ડ્રાઈવર અને કંડક્ટરોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સામે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, સાતમું પગાર પંચ અમલમાં મૂકવાની માંગ, દોઢ વર્ષથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાના એરિયર્સની ચૂકવણી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા સહિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે.
આંદોલનનો કાર્યક્રમ
- 18, 19 અને 20 જૂન: કર્મચારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે.
- 22 અને 23 જૂન: રાજ્યભરના બસ ડેપો, વર્કશોપ અને વિભાગીય કચેરીઓ બહાર સૂત્રોચ્ચાર, ઘંટનાદ અને રામધૂનના કાર્યક્રમો યોજાશે.
- 24 જૂન: મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી અને નિગમના ઉચ્ચ અધિકારીઓને ટેગ કરીને સોશિયલ મીડિયા અભિયાન ચલાવવામાં આવશે.
- 25 જૂન: રાજ્યની તમામ વિભાગીય કચેરીઓ સામે સવારે 11 વાગ્યાથી ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
એસટી મઝદૂર મહાસંઘનું કહેવું છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.














Leave a Reply