સાબરમતી નદીની સફાઈને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચાર દિવસીય વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ અભિયાનને લઈને વિવિધ સવાલો પણ ઉઠી રહ્યા છે. 11 કિલોમીટર લાંબા સાબરમતી રિવરફ્રન્ટના કુલ 31 ઘાટ પૈકી માત્ર થોડાક ઘાટોની જ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આજે (3 જૂન) અભિયાનના પ્રથમ દિવસે વિવિધ રાજકીય આગેવાનો, મંત્રીઓ અને કોર્પોરેટરોએ હાજરી આપી સફાઈ કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ, હોમગાર્ડ જવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોએ નદીના પટમાં ઉતરી સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.
AMCના જણાવ્યા અનુસાર, પ્રથમ દિવસે 7,500થી વધુ નાગરિકોએ અભિયાનમાં જોડાઈ અંદાજે 68 ટન (68 હજાર કિલોગ્રામ) કચરો એકત્ર કર્યો હતો. નદીના પટમાંથી પ્લાસ્ટિક, ઘન કચરો અને અન્ય નકામા અવશેષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદીનું પાણી 15 એપ્રિલથી ખાલી કરાયા બાદ રિવરફ્રન્ટ વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીની સમસ્યા સર્જાઈ હતી. જોકે, દોઢ મહિના સુધી કોઈ વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરાયું નહોતું. ત્યારબાદ હવે ચાર દિવસીય વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
સફાઈ અભિયાન દરમિયાન AMC દ્વારા નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવા મંડળો, હોમગાર્ડ જવાનો અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવા અપીલ કરવામાં આવી છે. જોકે, શહેરના કેટલાક વર્ગોનું માનવું છે કે રિવરફ્રન્ટ જેવા વિશાળ વિસ્તારની અસરકારક સફાઈ માટે લાંબા ગાળાની અને સતત કામગીરી જરૂરી છે.
વિવેચકોનું કહેવું છે કે દર વર્ષે નદી ખાલી કર્યા બાદ સફાઈ અભિયાન યોજવામાં આવે છે, પરંતુ નદીમાં ગંદા પાણી, ડ્રેનેજ અને પ્રદૂષિત પ્રવાહોના પ્રવેશને કાયમી રીતે રોકવા માટે વધુ અસરકારક પગલાં લેવાની જરૂર છે.












Leave a Reply