સમગ્ર રાજ્યમાં નૈઋત્ય દિશા તરફથી ભેજવાળા પવન શરૂ થયા છે, સાથે સાથે ગરમી પણ યથાવત્ રહી છે. આમ ગરમી સાથે બફારો વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. હવામાન વિભાગે ગુજરાત રાજ્ય તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન બુલેટિન બહાર પાડ્યું છે. જે મુજબ વિવિધ ભાગોમાં વરસાદ અને ભારે પવન સાથે કરા પડવાની શક્યતા છે. બીજી તરફ આજે અમદાવાદનું તાપમાન વધી 41.5 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું.
રાજ્યના વિવિધ શહેરના તાપમાન આજે પણ 39 ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૩ દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી., ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. આ સાથે જુનના પહેલા દિવસે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરાં પડવાની સંભાવના છે. જ્યારે બે અને ત્રણ જૂને ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આગામી ૬ દિવસો દરમિયાન ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ચોમાસા પહેલા સવા ઈંચ સુધી વરસાદ, વાવાઝોડાથી બેનાં મોત
વડોદરા : રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શનિવાર રાત્રે ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ દાહોદના ફતેપુરામાં સવા ઈંચ નોંધાયો હતો. ભારે પવનના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષ અને મકાન ધરાશાયી થવાની અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં અરવલ્લીના મોડાસા અને ભિલોડામાં ૧ ઇંચ જ્યારે વડાલીમાં ૨૨ મીમી, ખેડબ્રહ્મા 18 મિમી, વિજયનગર 14 મીમી, ઇડર 10 મીમી અને હિંમતનગર 09 મીમી, ધનસુરામાં ૨૦ મીમી, સાઠંબામાં ૧૬ મીમી, માલપુરમાં ૧૩, મેઘરજ અને શામળાજીમાં ૧૦-૧૦ મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે બનાસકાંઠાના વડગામ, અમીરગઢ અને દાંતામાં વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં પણ ખેરાલુ, મહેસાણામાં વરસાદી છાંટા પડ્યા હતા.નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં ભયાનક વાવાઝોડાને કારણે એક પરિવારનું મકાન ધરાશાયી થતાં 11 વર્ષની માસૂમ બાળકીનું કાટમાળ નીચે દટાવાથી કરૂણ મોત નીપજ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રાત્રે ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદમાં ઝાડ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.












Leave a Reply