અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 27 મેના રોજ ધોળા દિવસે થયેલા પાંચ રાઉન્ડ ફાયરિંગના બનાવે શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. આ કેસમાં નિવૃત્ત ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) અશોકસિંહ ચૌહાણ અને તેમના પરિવારની ધરપકડ બાદ આજે કોર્ટ અને જેલ પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો.
પોલીસ જ્યારે અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર અને પુત્રીને મીડિયા સમક્ષથી જેલ તરફ લઈ જઈ રહી હતી, ત્યારે અશોકસિંહ ચૌહાણે પોલીસ સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે, “મારે ઘણું કહેવું છે, પરંતુ પોલીસ મને બોલવા દેતી નથી.” જાહેરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના આ નિવેદન બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેયને લોકઅપમાં ખસેડી દીધા હતા.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, નહેરુનગર વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન મુદ્દે બે પક્ષો આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાતા મામલો વધુ તંગ બન્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢી હવામાં કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે રાઉન્ડ જમીન તરફ અને ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં અશોકસિંહ ચૌહાણ વિવાદિત પ્રોપર્ટીને લઈને ઉગ્ર શબ્દોમાં ચેતવણી આપતા જોવા મળે છે. તેઓ કહી રહ્યા છે કે, “મારી મંજૂરી વગર આ પ્રોપર્ટીમાં પગ કેવી રીતે મૂક્યો? બહાર નીકળો, નહીં તો લાશો પડી જશે. કોર્ટમાં મળીશું,” ત્યારબાદ તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું.
આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસે અશોકસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ પોલીસે કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે.













Leave a Reply