અમદાવાદના અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ગત વર્ષે 12 જૂને બનેલી દુઃખદ પ્લેન ક્રેશની ઘટનાના એક વર્ષ બાદ હવે ત્યાં પુનઃનિર્માણની કામગીરી શરૂ થવા જઈ રહી છે. આ ભયાનક અકસ્માતમાં બી.જે. મેડિકલ કોલેજની સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. હવે રાજ્ય સરકાર દ્વારા વધુ સુવિધાસભર અને આધુનિક હોસ્ટેલ તેમજ નવી મેસ બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
₹105 કરોડના ખર્ચે બનશે નવી સુવિધાઓ
આ સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ ₹105 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેમાંથી અંદાજે ₹53.12 કરોડનો અડધો ખર્ચ ટાટા એરલાઈન્સ દ્વારા ચૂકવવામાં આવશે, જ્યારે બાકીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. સરકાર દ્વારા આ માટે બજેટમાં પણ જરૂરી જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રેસિડેન્ટ ડોક્ટરો માટે વધારાના રૂમો
પ્લેન ક્રેશમાં અતુલ્યમ-1થી અતુલ્યમ-4 હોસ્ટેલ બ્લોકમાંથી ત્રણ બિલ્ડિંગોને ગંભીર નુકસાન થયું હતું. બીજી તરફ, બી.જે. મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી કોર્સની બેઠકોમાં વધારો થતાં હવે કુલ 144 રેસિડેન્ટ ડોક્ટરો માટે વધારાની રહેવાની સુવિધાની જરૂરિયાત ઉભી થઈ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત મેઘાણીનગર સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં નવી હોસ્ટેલ બ્લોક, આધુનિક કેન્ટિન અને નવું સબ-સ્ટેશન પણ વિકસાવવામાં આવશે.
દુર્ઘટના સ્થળે સ્મારક બનાવવાની માંગ
આ કરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોએ જ્યાં વિમાન તૂટી પડ્યું હતું તે સ્થળે સ્મારક બનાવવાની માંગ ઉઠાવી છે. જોકે, સરકાર દ્વારા તે વિસ્તારમાં નવા બાંધકામને મંજૂરી આપવામાં આવતા કેટલાક પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે.
સરકાર પણ આ મુદ્દે વિચારણા કરી રહી છે અને એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જૂની મેસ બિલ્ડિંગ આવેલી જગ્યાએ સ્મારક બનાવવામાં આવે, જ્યારે નવી મેસ સુવિધા અન્ય સ્થળે ઉભી કરવામાં આવશે.














Leave a Reply