શહેરના આઇઆઇએમ રોડ ઉપર આવેલાં છાસવાલેના સેન્ટર ખાતેથી ખરીદાયેલાં અંજીર મિલ્કશેકમાં જીવડું નીકળવાની ઘટનાનો વીડિયો સોશ્યલ મિડિયા ઉપર વાયરલ થયાં બાદ મ્યુનિ. ફૂડ વિભાગે છાસવાલેના સેન્ટરમાં ચેકિંગ કરીને ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
મ્યુનિ. ફૂડ વિભાગનો હવાલો સંભાળતાં ઇન્ચાર્જ એડિશનલ હેલ્થ ઓફિસર ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, આઇઆઇએમ રોડ ઉપર આવેલાં છાસવાલેના સેન્ટરમાંથી એક વ્યક્તિએ ૧૫મી મેના રોજ કાજુઅંજીર મિલ્કશેક પેક ખરીદ્યુ હતું, તેમાં જીવડુ નીકળ્યા બાદ ગ્રાહકે છાસવાલે સેન્ટર ખાતે જ કકળાટ કરીને ક્વોલિટી અંગે સવાલો કર્યા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં મ્યુનિ. ફૂડ વિભાગને તેની જાણ થઇ હતી અને ફૂડ વિભાગની ટીમે છાસવાલે સેન્ટર ખાતે ચેકિંગ કરી ૨૫ હજાર રૂપિયા પેનલ્ટી ફટકારી હતી. તદઉપરાંત છાસવાલેનું પ્રોડક્શન હાઉસ અમદાવાદ જિલ્લાના દસક્રોઇ ખાતે આવેલુ છે, જે મ્યુનિ. હદ બહાર હોવાથી જિલ્લા ફૂડ વિભાગને પ્રોડકશન હાઉસમાં તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા જાણ કરી છે તેમ ડો.તેજસ શાહે જણાવ્યું હતું. તેમણે સ્વીકાર્યુ હતું કે, આજકાલ ખાદ્યપદાર્થોમાં ભેળસેળની સાથે જીવડા વગેરે નીકળવાની ઘટનામા વધારો થયો છે અને તેના માટે જે તે ઉત્પાદક કે વેચાણકર્તાની બેદરકારી કારણભૂત હોય છે. જે કોઇ ગ્રાહક આવી કોઇ ફરિયાદ મ્યુનિ. ફૂડ વિભાગને કરશે તો અવશ્ય પગલાં લેવાશે.













Leave a Reply