અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી Tathya Patel ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જુલાઈ 2023માં બનેલી આ ગોઝારી ઘટનામાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા. હવે સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા હોવાનું તેના વકીલ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 2 વર્ષ અને 10 મહિનાનો જેલવાસ ભોગવ્યા બાદ તથ્ય પટેલ હવે જામીન પર જેલ બહાર આવશે.
કેસમાં જામીનથી આવ્યો મોટો વળાંક
હાલ આ સમગ્ર મામલાની ટ્રાયલ કોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 જેટલા સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવાની સૂચના આપી હતી. તે દરમિયાન હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિયમિત જામીનના આદેશને કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટની નોંધ શું રહી?
તથ્ય પટેલ તરફથી વકીલ આઈ.એચ. સૈયદ અને ઝીલ શાહે જામીન અરજી રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કુલ 191 સાક્ષીઓમાંથી અત્યાર સુધીમાં આશરે 29 સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકીના સાક્ષીઓની કાર્યવાહી હજુ બાકી છે.
કોર્ટે નોંધ્યું કે આરોપી સામે IPC કલમ 304 સહિતની ગંભીર કલમો લાગુ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેને દોષિત જાહેર કરવામાં આવ્યો નથી. મૃતકોના પરિવારને વળતર અંગે સુપ્રીમે જણાવ્યું કે હાલ ટ્રાયલ ચાલુ હોવાથી આ મુદ્દે અત્યારે કોઈ નિર્ણય લેવો યોગ્ય નહીં ગણાય, કારણ કે તે કેસની કાર્યવાહી પર અસર કરી શકે છે.
શું હતી ઇસ્કોન બ્રિજ દુર્ઘટના?
19 જુલાઈ, 2023ની મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર Jaguar XF કાર ચલાવી રહેલા તથ્ય પટેલે ભયંકર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ કેસમાં તથ્ય પટેલ તેમજ તેના પિતા Pragnesh Patel સામે IPC ની કલમ 279, 337, 338, 304, 308 તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.














Leave a Reply