વિપક્ષના ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રાન્સજેન્ડર સંરક્ષણ સંબંધિત સુધારા બિલ 2026 પસાર કર્યું છે. વિપક્ષના સાંસદોએ આ બિલને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માગણી કરી હતી, પરંતુ સરકારે જણાવ્યું કે બિલમાં કોઈ ખામી નથી. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
ચર્ચા દરમિયાન સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું કે આ બિલનો મુખ્ય હેતુ એવા લોકોના અધિકારોનું સંરક્ષણ કરવાનું છે, જેમને તેમની બાયોલોજિકલ ઓળખને કારણે ભેદભાવ અને બહિષ્કારનો સામનો કરવો પડે છે. તેમણે ખાતરી આપી કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને તમામ મૂળભૂત અધિકારો આપવામાં આવશે.
બીજી તરફ, કોંગ્રેસ સાંસદ જ્યોતીમણીએ આક્ષેપ કર્યો કે ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે ચર્ચા કર્યા વિના જ આ બિલ લાવવામાં આવ્યું છે અને ઓળખ માટે મેડિકલ બોર્ડની વ્યવસ્થા અયોગ્ય છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદોરિયાએ પણ સવાલ ઉઠાવ્યો કે જો બિલ ખરેખર ટ્રાન્સજેન્ડર લોકોના હિતમાં છે, તો પછી તેઓ તેનો વિરોધ શા માટે કરી રહ્યા છે.
વિપક્ષે વધુમાં દાવો કર્યો કે બિલમાં ટ્રાન્સજેન્ડર સમુદાયની વ્યાખ્યા સ્પષ્ટ નથી અને તેમાં ગે તથા લેસ્બિયન લોકોને બહાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત, ફરજિયાત મેડિકલ તપાસ જેવી જોગવાઈઓનો પણ વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે વ્યક્તિને પોતાની ઓળખ સ્વેચ્છાએ જાહેર કરવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ.














Leave a Reply