ભારતની લોકશાહીના ઇતિહાસમાં આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. સત્રના પ્રથમ જ દિવસે સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), સીમાંકન (Delimitation) સહિત ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. સરકારે જણાવ્યું છે કે આ મુદ્દાઓ પર જરૂરી હોય તો મધરાત સુધી ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે સાંજે 4 વાગ્યે મતદાન યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંબોધન આપ્યું હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે આજે ભારતની લોકશાહી માટે એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મહિલા અનામતનો કાયદો ઘણા વર્ષો પહેલાં જ લાગુ થવો જોઈએ હતો, પરંતુ હવે તે અવસર મળ્યો છે. આ બિલ દેશની અડધી વસ્તીને રાષ્ટ્રનિર્માણમાં સીધી ભાગીદારી આપશે અને દેશના વિકાસમાં નવી દિશા નક્કી કરશે.
મોદીએ વિરોધ પક્ષોને સંબોધતા કહ્યું કે મહિલા અનામતનો વિરોધ કરનાર પક્ષોને મહિલાઓ ક્યારેય માફ કરતી નથી. તેમણે ઉમેર્યું કે વિકાસનો અર્થ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીમિત નથી, પરંતુ તેમાં દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે. તમામ પક્ષોએ સાથે મળીને આ બિલ પસાર કરવાથી કોઈ એક પક્ષને રાજકીય ફાયદો નહીં થાય, પરંતુ સૌને તેનો શ્રેય મળશે.
તેમણે વધુમાં કહ્યું કે આજે મહિલાઓ વધુ સશક્ત અને ‘વોકલ’ બની છે અને તેઓ માત્ર પંચાયતોમાં નહીં પરંતુ સંસદની નિર્ણય પ્રક્રિયામાં પણ જોડાવા માંગે છે. અગાઉ પંચાયતોમાં મહિલાઓને અનામત આપવાનો વિરોધ થતો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
ચર્ચા દરમિયાન સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે તેઓ અતિ પછાત સમાજમાંથી આવે છે અને તેમને તેની ગર્વ છે. આ ટિપ્પણીથી ગૃહમાં હળવો હાસ્યનો માહોલ સર્જાયો.
સીમાંકન મુદ્દે ઉઠતી ચિંતાઓ અંગે મોદીએ ખાતરી આપી કે કોઈ પણ રાજ્ય સાથે અન્યાય નહીં થાય અને તમામ રાજ્યો સાથે સમાન વર્તન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ન્યાયસંગત રહેશે.
અંતમાં, મોદીએ જણાવ્યું કે મહિલાઓનો આ હક દાયકાઓથી અટકાવવામાં આવ્યો હતો અને હવે તેને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે આ બિલ પસાર થવાથી તેમને વ્યક્તિગત યશની જરૂર નથી અને તેઓ અન્ય પક્ષોને પણ તેનો શ્રેય આપવા તૈયાર છે.












Leave a Reply