કોલકાતા : બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર રાજ્યની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જોખમમાં મુકનાર કોઈને પણ છોડવામાં નહીં આવે અને તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેમણે ચૂંટણીની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે રાજ્યના ચૂંટણી પંચ અને વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જોકે બેઠક દરમિયાન રાજ્યની નાર્કોટિક્સ એડવાઈઝરી સમિતિ હાજર ન હોવા અંગે તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થાનું કડક પાલન જરૂરી છે. જો કાયદો-વ્યવસ્થાનો ભંગ થશે તો આકરા પગલાં ભરવામાં આવશે. રાજ્યમાં કોઈપણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે તેમણે અધિકારીઓને ચેતવણી આપી હતી અને તમામ એજન્સીઓને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની ભલામણ કરી હતી.
આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશ્નરે સત્તાધારી ટીએમસી, મુખ્ય વિપક્ષ ભાજપ તેમજ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકમાં એસઆઈઆર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ટીએમસીએ આ મુદ્દે સામાન્ય લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે ભાજપે તેને સમયસર અને જરૂરી કાર્યવાહી ગણાવી તેનો સમર્થન આપ્યું હતું.
બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશ્નર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે તેઓ બંગાળમાં આવીને રાજ્યના અધિકારીઓને ડરાવવાની અને દબાણ કરવાની કોશિશ કરી રહ્યા છે. એસઆઈઆર મુદ્દે મમતા બેનર્જીએ ફરીથી કેન્દ્ર સરકાર અને ચૂંટણી આયોગ પર સવાલો ઉઠાવ્યા હતા. તેઓ આ મુદ્દે આંદોલન પણ કરી રહ્યા છે. ધરણા સ્થળેથી તેમણે કહ્યું હતું કે રાજ્યના અધિકારીઓને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે બહાદુરી બતાવવી સારી વાત છે, પરંતુ ખોટી બહાદુરીનો કોઈ અર્થ નથી. મતદાન દરેક ભારતીય નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને તે અધિકાર માટે હું લડી રહી છું.














Leave a Reply