વડાપ્રધાન દ્વારા આસામમાં મહત્વપૂર્ણ કોરિડોર પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે ઉત્તર-પૂર્વ ભારતના પાંચ રાજ્યો માટે લાભદાયક બનશે. વડાપ્રધાને શિલાંગ-સિલચર કોરિડોર પ્રોજેક્ટની શરૂઆત કરી, જેના કારણે આસામ સાથે મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ પ્રસંગે વડાપ્રધાને કોંગ્રેસ પર પણ નિશાન સાધતાં જણાવ્યું કે યુદ્ધ જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં કોંગ્રેસ લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગુવાહાટી-સિલચર વચ્ચેનો સમય ઘટશે
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ગુવાહાટીથી સિલચર વચ્ચેનું મુસાફરીનું અંતર ઝડપથી પાર કરી શકાશે. હાલમાં આ સફર પૂર્ણ કરવામાં લગભગ 8.5 કલાક લાગે છે, પરંતુ કોરિડોર તૈયાર થયા બાદ તે માત્ર લગભગ 5 કલાકમાં પૂર્ણ થઈ શકશે. ઉત્તર-પૂર્વ ભારતનો આ પહેલો એવો કોરિડોર હશે જે આધુનિક સુવિધાઓ સાથે એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફીલ્ડ ચાર-લેન હાઈ-સ્પીડ માર્ગ તરીકે વિકસાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં કેપિટલ પોઈન્ટ પાસે ટ્રંક રોડથી રંગિરખારી પોઈન્ટ સુધીના નેશનલ હાઈવે પર એલિવેટેડ કોરિડોરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
પડોશી રાજ્યોને પણ મળશે લાભ
લગભગ 22,860 કરોડ રૂપિયાના ખર્ચે 166 કિલોમીટર લાંબો આ કોરિડોર બનાવવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ગુવાહાટી અને સિલચર વચ્ચેનો સમય ઘણો ઓછો થઈ જશે. આ પ્રોજેક્ટ આસામ અને મેઘાલયની આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વેપાર, પ્રવાસન અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓને પણ ગતિ મળશે. સાથે જ વ્યસ્ત માર્ગો પર થતા ટ્રાફિક જામમાંથી રાહત મળશે. આ કોરિડોર મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર જેવા પડોશી રાજ્યો સાથેના સંપર્કને પણ વધુ સરળ બનાવશે.
આસામમાં કૃષિ મહાવિદ્યાલયનું ખાતમુહૂર્ત
આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના માર્ગ પર આસામ મહત્વપૂર્ણ યોગદાન આપવા માગે છે. રાજ્ય સરકાર આસામને વધુ મજબૂત અને વિકાસશીલ બનાવવા પ્રતિબદ્ધ છે. આ પહેલા વડાપ્રધાને કરીમગંજ જિલ્લાના પથારકંડી વિસ્તારમાં નવા કૃષિ મહાવિદ્યાલયનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સંસ્થા આસામમાં કૃષિ શિક્ષણ અને સંશોધનને મજબૂત બનાવશે તેમજ બરાક ખીણ અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ ઉત્તમ શિક્ષણ મેળવવાની તક મળશે.
અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન
વડાપ્રધાને 13 માર્ચે આસામના કોકરાઝારમાં 4,570 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. ઉપરાંત ગુવાહાટીમાં પાણી, વીજળી અને રેલવે સહિતના કુલ 13 પ્રોજેક્ટ, જેનો ખર્ચ લગભગ 19,577.58 કરોડ રૂપિયા છે, દેશને સમર્પિત કર્યા હતા.
કોંગ્રેસ પર વડાપ્રધાનનો પ્રહાર
આસામમાં સભાને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર ટીકા કરતાં કહ્યું કે કેટલાક લોકો દેશવિરોધી તાકાતોના હાથમાં રમે છે અને દેશમાં નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે. દેશની સુરક્ષા અને એકતાને રાજકારણથી દૂર રાખવી જોઈએ, છતાં કોંગ્રેસ સતત એવા નિવેદનો આપી રહી છે જે દેશના હિતમાં નથી.












Leave a Reply