આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક મતભેદો ઉગ્ર બનતા રાજકીય માહોલ ગરમાયો છે. નગાંવના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ અને આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ નવજ્યોતિ તાલુકાદારએ પક્ષમાંથી રાજીનામું આપતા કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે.
નવજ્યોતિ તાલુકાદારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને પાઠવેલા રાજીનામા પત્રમાં પક્ષની કાર્યપદ્ધતિ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે લાંબા સમયથી પક્ષમાં સંકલનનો અભાવ રહ્યો છે અને વારંવાર રજૂ કરેલી ફરિયાદો છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા હવે કોંગ્રેસમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.
બીજી તરફ, પ્રદ્યુત બોરદોલોઈએ પણ ભારે દિલથી પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. જાણવા મળ્યું છે કે ટિકિટ વહેંચણી અને ઉમેદવારોની પસંદગી અંગે ચાલી રહેલી આંતરિક ખીંચતાણને કારણે આ નિર્ણય લેવાયો છે. તેમણે તાજેતરમાં લાહોરીઘાટ બેઠકના સંભવિત ઉમેદવાર અંગે અસહમતિ વ્યક્ત કરી હતી અને રાજીનામાની ચેતવણી પણ આપી હતી. ફેબ્રુઆરીમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરાહ ભાજપમાં જોડાયા બાદ, કોંગ્રેસ માટે આ સતત ત્રીજો મોટો આંચકો ગણાઈ રહ્યો છે.
આસામમાં 9 એપ્રિલે તમામ 126 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે, જ્યારે પરિણામ 4 મેના રોજ જાહેર થશે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ ત્રીજી વખત સત્તા જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સત્તામાં વાપસી માટે મેદાનમાં ઉતરી છે. 2021ની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધને 75 બેઠકો જીતી હતી, જેમાં ભાજપે 60 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસ અને AIUDF ગઠબંધનને માત્ર 16 બેઠકો મળી હતી.














Leave a Reply