નવી દિલ્હીમાં રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ પર ઉચ્ચસ્તરીય કેબિનેટ બેઠક બોલાવી હતી, જે લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. મિડલ ઇસ્ટમાં ઇઝરાયેલ-ઇરાન વચ્ચે વધતી તંગદીલીને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ, કાચું તેલ, ગેસ અને વીજળી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાદ્ય વસ્તુઓની કોઈ અછત ઉભી ન થાય તે માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવાનો હતો. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણાં મંત્રી નિર્મલા સીતારામણ, જે.પી. નડ્ડા, હરદીપ પુરી, મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સરકારે બેઠક બાદ નિવેદન આપીને જણાવ્યું હતું કે દેશમાં એલપીજીનો પુરવઠો હાલ સામાન્ય છે અને કોઈ અછત નથી. લોકોને ગેસ સિલિન્ડર સરળતાથી મળી રહ્યા છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં પીએનજી કનેક્શન વધારવા માટે કંપનીઓને સૂચના આપવામાં આવી છે.
સરકારે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને પાઇપલાઇન ગેસ કનેક્શન વધારવા કહ્યું છે અને સરકારી કચેરીઓમાં પણ પીએનજીને પ્રાથમિકતા આપવામાં આવશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોની ફાળવણીની મર્યાદા પણ વધારી દેવામાં આવી છે. 21મી તારીખે કેન્દ્ર સરકારે રાજ્યોને કોમર્શિયલ એલપીજીનું 20 ટકા વધારાનું વિતરણ કરવાની મંજૂરી આપી છે, જેના કારણે કુલ વિતરણ હવે 50 ટકા સુધી પહોંચી શકે છે.
મિડલ ઇસ્ટમાં તંગ પરિસ્થિતિ વચ્ચે રશિયાથી કાચું તેલ લઈને ‘એક્વા ટાઇટન’ અને અમેરિકાથી એલપીજી લઈને ‘પિક્સિસ પાયોનિયર’ નામના જહાજો રવિવારે સવારે કર્ણાટકના મેંગલુરુ બંદરે પહોંચી ગયા હતા. જેના કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવોને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.












Leave a Reply