જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર શુક્રવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જોજિલા પાસ નજીક ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે થયેલા શ્રેણીબદ્ધ હિમસ્ખલનના કારણે ભારે જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું છે.
બરફ નીચે દટાયા વાહનો
બપોરના સમયે અચાનક આવેલા હિમસ્ખલનને કારણે હાઈવે પરથી પસાર થઈ રહેલા અંદાજે એક ડઝન જેટલા વાહનો બરફના જાડા થર નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યા હોવાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બચાવ કામગીરી તેજ, હાઈ એલર્ટ જાહેર
ઘટનાની જાણ થતા જ લદ્દાખના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ કારગિલના ડેપ્યુટી કમિશનર અને એસએસપીને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપી હતી. ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO)ની ટીમો હાઈ એલર્ટ પર મુકાઈ છે અને બરફમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો શોક
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ ઘટનાને લઈને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે જોજિલા પાસ વિસ્તારમાં થયેલી આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે અને રાહત-બચાવ કામગીરી ઝડપથી ચાલુ રાખવા માટે તમામ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે.















Leave a Reply