કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ ઇવીએમ મશીનના બટન પર ટેપ લગાવવાના બનાવો પણ નોંધાયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ૨૪ પરગણા જિલ્લામાં આવેલા આશરે ૧૫ બુથ પર ફરી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. આ બુથ પર ૨ મેના રોજ ફરી મતદાન થશે, જ્યારે પરિણામ ૪ મેના રોજ જાહેર થશે.
પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થયું હતું. બીજા તબક્કા દરમિયાન કેટલીક ફરિયાદો મળતા ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને સંબંધિત બુથ પર રી-પોલિંગ જાહેર કર્યું. આ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાના મત વિસ્તાર ભવાનીપુરના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી, જ્યાં ઇવીએમ મશીનો રાખવામાં આવ્યા છે.
મમતાએ ઇવીએમ સાથે છેડછાડના આક્ષેપો કર્યા અને કહ્યું કે વિવિધ વિસ્તારોમાંથી મશીનમાં ગડબડીની માહિતી મળી રહી છે. તેમણે ચૂંટણી પંચની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. શરૂઆતમાં કેન્દ્રીય દળોએ તેમને સ્ટ્રોંગ રૂમમાં જવા અટકાવ્યા હતા, પરંતુ બાદમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમણે ચેતવણી આપી કે જો મતગણતરીમાં ગડબડી કરવાનો પ્રયાસ થશે તો તેમની પાર્ટી કડક પ્રતિસાદ આપશે.
બીજી તરફ, હાઇકોર્ટે ટીએમસીની અરજી ફગાવી દીધી છે. ટીએમસીએ કાઉન્ટિંગ સુપરવાઇઝર તરીકે માત્ર કેન્દ્રીય અથવા પીએસયુ કર્મચારીઓની નિમણૂંકના નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ કોર્ટએ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને મતોની હેરફેર અંગેની શંકાને સ્વીકારી નથી.
એક્ઝિટ પોલ અંગે વાત કરીએ તો કેટલાક સર્વેમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે કડક ટક્કર અથવા ત્રિશંકુ પરિણામની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, પોલીક્યુના એક્ઝિટ પોલ મુજબ તૃણમૂલ કોંગ્રેસને ૨૦૦થી ૨૨૦ બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને ૫૦થી ૮૨ બેઠકો મળવાની સંભાવના છે. કોંગ્રેસ અને ડાબેરીઓને ૧થી ૨ બેઠકો મળવાનો અંદાજ છે. આ ઉપરાંત ભવાનીપુર બેઠક પર મમતા બેનરજીની જીત અને ભાજપના સુવેંદુ અધિકારીની હારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે નંદીગ્રામ બેઠક પર સુવેંદુ અધિકારી જીતશે એવું અનુમાન છે.













Leave a Reply