અમદાવાદ મહાનગરપાલિકાની વિવિધ મહત્ત્વની 17 કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની વરણી આજે મળનારી સામાન્ય સભામાં કરવામાં આવશે. શહેરના વિકાસ અને વહીવટી કામગીરી પર સીધી અસર કરતી રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર એન્ડ ડ્રેનેજ, ટાઉન પ્લાનિંગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ તેમજ AMTSની ટ્રાન્સપોર્ટ કમિટી સહિતની કમિટીઓની રચનાને લઈને કોર્પોરેટરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
કમિટીઓની રચનામાં શહેર અને પ્રદેશ નેતૃત્વ વચ્ચેના સમન્વયના કારણે વિલંબ થયો હોવાનું માનવામાં આવે છે. સામાન્ય સભાના એક દિવસ અગાઉ સુધી પણ અનેક હોદ્દેદારોને વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોના નામોની સત્તાવાર જાણકારી આપવામાં આવી નહોતી.
અગાઉ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષનેતા અને દંડક સહિતના પાંચ મહત્વના હોદ્દાઓ માટે કોર્પોરેટરોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં સવર્ણ અને બક્ષીપંચ વર્ગના પ્રતિનિધિઓને સ્થાન મળ્યું હતું, જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના કોર્પોરેટરોને પ્રતિનિધિત્વ મળ્યું ન હતું. જેના કારણે કમિટીઓના ચેરમેન અથવા ડેપ્યુટી ચેરમેન તરીકે તેમને તક મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે મહત્ત્વની કમિટીઓના નેતૃત્વ માટે અનુભવી અને વરિષ્ઠ કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવે તો તે ભાજપ અને મહાનગરપાલિકાના હિતમાં રહેશે. આજે જાહેર થનારી કમિટીઓની રચનામાં ઝોન, જાતિ, વર્ગ અને રાજકીય સંતુલન જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.












Leave a Reply