પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનરજીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેમની પાર્ટી હારી નથી, પરંતુ લગભગ 100 મતવિસ્તારોમાં મતલૂંટ થઈ છે. તેમણે ચૂંટણી પંચના વર્તનને પક્ષપાતી ગણાવી લોકશાહી સાથે અન્યાય થયાનો આરોપ મૂક્યો છે. રાજીનામા અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈપણ સ્થિતિમાં પદ છોડવાના નથી.
મમતાએ વધુમાં કહ્યું કે ચૂંટણી દરમિયાન તેમના કાર્યકરો અને નેતાઓને નિશાન બનાવાયા, અધિકારીઓની બદલી કરવામાં આવી અને ભાજપે પોતાના પક્ષના બ્યુરોક્રેટ્સનો ઉપયોગ કર્યો. તેમણે દાવો કર્યો કે તેમને બુથ પરથી ધક્કા મારીને કાઢવામાં આવ્યા, જે મહિલાઓ સાથેના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
‘ઇન્ડિયા’ ગઠબંધન વિશે બોલતાં તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન સહિતના નેતાઓએ તેમને ટેકો આપ્યો છે. સાથે જ અખિલેશ યાદવના બંગાળ આવવાના સંકેત પણ આપ્યા.
ભવિષ્યની કામગીરી અંગે મમતાએ જણાવ્યું કે 10 સભ્યોની ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવશે, જે વિવિધ વિસ્તારોમાં જઈને લોકોની ફરિયાદો સાંભળશે. તેમણે આક્ષેપ કર્યો કે કાઉન્ટિંગ સેન્ટરો પર પણ કબજો કરવામાં આવ્યો હતો અને પાર્ટી કાર્યકરો પર અત્યાચાર થઈ રહ્યા છે.
બીજી તરફ, અખિલેશ યાદવે પરિણામોને ‘કાળો દિવસ’ ગણાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા. અરવિંદ કેજરીવાલએ પણ જૂના ચૂંટણી પરિણામોને ઉલ્લેખ કરીને ભાજપની જીત પર સવાલ ઉઠાવ્યો. સાથે જ રાહુલ ગાંધીએ પણ ચૂંટણી પંચ પર નિશાન સાધતા મમતાના આક્ષેપોને સમર્થન આપ્યું અને જણાવ્યું કે બંગાળ તથા આસામમાં ગડબડ થઈ છે.













Leave a Reply