અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને લાખોની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેઢીના સંચાલકે માત્ર 11 દિવસ પહેલા જ નોકરીએ રાખેલા એક યુવકે સોના-ચાંદીના કિંમતી દાગીના સહિત કુલ રૂ. 80.56 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ જતાં ભારે હડકંપ મચ્યો છે. સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી છે.
વિશ્વાસ જીતીને લાખોની ચોરી
મળતી માહિતી મુજબ, રાણીપ વિસ્તારમાં રહેતા અને આંગડિયા પેઢી ચલાવતા અંકિત પારેખે થોડા દિવસો પહેલા જીગરસિંહ વિહોલા નામના યુવકને પાર્સલ ડિલિવરીના કામ માટે નોકરીએ રાખ્યો હતો. શરૂઆતમાં જીગરસિંહે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરીને માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો. જેના કારણે પેઢીના સંચાલકે તેને મોટી જવાબદારી સોંપી હતી, પરંતુ આ વિશ્વાસનો જ તેણે ગેરફાયદો ઉઠાવ્યો હોવાનું સામે આવ્યું છે.
ભુજ જતી બસમાંથી જ થયો ગાયબ
ગત 6 મેના રોજ અલગ-અલગ વેપારીઓના કિંમતી પાર્સલ, જેમાં ભુજના કચ્છી જ્વેલર્સની ચાંદીની પાટો તેમજ સોના-ચાંદીના દાગીના સામેલ હતા, તે જીગરસિંહને ભુજ પહોંચાડવા માટે આપવામાં આવ્યા હતા. અંદાજે રૂ. 80.56 લાખની કિંમતનો મુદ્દામાલ લઈને તે બસમાં ભુજ જવા નીકળ્યો હતો. જોકે, ભુજ બસ સ્ટેશન પર તેને લેવા પહોંચેલા પેઢીના અન્ય કર્મચારીને જીગરસિંહ મળ્યો નહોતો. ત્યારબાદ તેનો મોબાઈલ ફોન પણ સતત સ્વીચ ઓફ આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસ તપાસ તેજ
ઘણા સમય સુધી આરોપીની કોઈ ભાળ ન મળતા આખરે આંગડિયા પેઢીના સંચાલક અંકિત પારેખે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ આરોપીના રહેઠાણ તેમજ સંભવિત સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ વેરિફિકેશનનો મુદ્દો ફરી ચર્ચામાં
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર આંગડિયા પેઢીઓ અને કિંમતી માલસામાન સાથે સંકળાયેલા વ્યવસાયોમાં નવા કર્મચારીઓની ભરતી પહેલાં પોલીસ વેરિફિકેશન અને સંપૂર્ણ બેકગ્રાઉન્ડ ચેક કેટલું જરૂરી છે તે મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.













Leave a Reply