શિક્ષકોની પડતર માંગણીઓને લઈને ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. જૂની પેન્શન યોજના (OPS) પુનઃ લાગુ કરવા અને TET/TAT પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં શિક્ષકોએ ધરણા, રેલીઓ અને આવેદનપત્ર કાર્યક્રમો યોજ્યા હતા.
અમદાવાદમાં AMC સંચાલિત શાળાઓના શિક્ષકોએ કલેક્ટર કચેરીએ રેલી કાઢી ધરણા કર્યા હતા. વર્ષ 2005 પછી ભરતી થયેલા શિક્ષકો માટે જૂની પેન્શન યોજના ફરી અમલમાં મૂકવાની તેમજ વર્ષ 2010 પહેલાં સેવા શરૂ કરનાર શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. કલેક્ટર કચેરી બહાર ધરણા માટે બનાવવામાં આવેલ મંડપ પોલીસ દ્વારા દૂર કરાતા શિક્ષકોમાં રોષ ફેલાયો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરામાં 1000થી વધુ શિક્ષકો એકત્ર થયા હતા. TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે જિલ્લા સેવાસદન અને સર્કિટ હાઉસ બહાર ધરણા યોજાયા હતા. શિક્ષક આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચેતવણી આપી હતી કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અહીં મુખ્યત્વે 2009માં વિદ્યાસહાયક તરીકે ભરતી થયેલા TET-1 શિક્ષકોના વહીવટી અને આર્થિક હકો, ઉચ્ચતર પગારધોરણ, બઢતી અને અન્ય સેવા લાભોની માંગ ઉઠાવવામાં આવી હતી. શિક્ષકોનો આક્ષેપ છે કે સરકારી પરિપત્રો હોવા છતાં તેમને વર્ષોથી યોગ્ય લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે.
રાજ્યભરમાં એકસાથે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શન બાદ હવે શિક્ષકો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જો માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી શૈક્ષણિક કાર્યબહિષ્કાર અને વધુ મોટા આંદોલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.












Leave a Reply