અમદાવાદમાં જૂના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરી હેઠળ બુધવારે સવારે નદીના પટમાં આવેલા ત્રણ સ્પાનનું સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નહોતી અને કામદારો, મશીનરી તેમજ આસપાસના વિસ્તારમાં તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ જાળવવામાં આવી હતી.
ડિમોલિશનની કામગીરી નિષ્ણાતોની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને નિર્ધારિત તમામ સલામતી ધોરણો તેમજ પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવતાં સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
કાર્યગીરી દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આસપાસના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
આજની કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ થયું છે. આગામી તબક્કામાં પણ પૂર્વનિર્ધારિત આયોજન મુજબ બાકીની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ તોડકામ બાદનો કાટમાળ (ડેબ્રીઝ) દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.













Leave a Reply