અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના જળસ્ત્રોતોને પુનઃજીવિત કરવા માટે હાથ ધરાયેલી કાર્યવાહી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. શહેરના કુદરતી તળાવો પર વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે શરૂ કરાયેલ ઝુંબેશ અંતર્ગત ચંડોળા અને ઈસનપુર બાદ આજે 20 જાન્યુઆરીની વહેલી સવારથી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર વ્યાપક ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંદરવટ તળાવની અંદર તથા આસપાસ ફેલાયેલા આશરે 400 જેટલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. કામગીરી દરમિયાન કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઝોન-6 પોલીસ સ્ટેશનના લગભગ 500 પોલીસ જવાનો સ્થળ પર તહેનાત રાખવામાં આવ્યા છે, જ્યારે AMCના 300થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.
આ વિશાળ કાર્યવાહી માટે AMCએ ભારે યાંત્રિક સાધનોનો ઉપયોગ કર્યો છે. જેમાં 10 હિટાચી મશીન, 5 જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરોની ટીમ કામે લગાડવામાં આવી છે. એસ્ટેટ વિભાગની કુલ 10 ટીમો અલગ-अलग ઝોનમાં વિભાજિત થઈને દબાણ દૂર કરવાની કામગીરીને ઝડપથી આગળ વધારી રહી છે.
તંત્ર દ્વારા અગાઉથી જ તમામ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસ પાઠવી સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. છતાં પણ કેટલાક રહીશો દ્વારા બાંધકામ દૂર ન કરાતા અંતે AMCને બુલડોઝર અને જેસીબીની મદદથી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
માનવીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને AMC દ્વારા ઘરવિહોણા થનારા પરિવારો માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. રહીશોને તેમનો ઘરનો સામાન સલામત રીતે ખસેડી શકે તે માટે AMTS બસોને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. ઉપરાંત, જેમની પાસે રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેલ્ટર હોમમાં તાત્કાલિક આશ્રય આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દબાણો દૂર થયા બાદ વાંદરવટ તળાવની જળસંગ્રહ ક્ષમતા નોંધપાત્ર રીતે વધશે. પરિણામે આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘટશે તેમજ ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો જોવા મળશે.
ચાર તબક્કામાં થશે કામગીરી
આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયાને AMC દ્વારા ચાર તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં નૈયા મયંક સીઝનેબલ સ્ટોર નજીક આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફિરદોસ મસ્જિદ સહિતના બે મુખ્ય ધાર્મિક સ્થળોને બાદ કરતાં અન્ય તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે.
દબાણો સંપૂર્ણપણે દૂર થયા બાદ આ તળાવને સરકારના વિકાસ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવશે. જેમાં તળાવનું રીસ્ટોરેશન, હરિયાળી વિકાસ અને પર્યાવરણ સુધારણા જેવા કામો હાથ ધરાશે. AMCનું કહેવું છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્થાનિક રહેવાસીઓને સ્વચ્છ, હરિયાળું અને સંતુલિત પર્યાવરણ મળશે તેમજ શહેરના જળ સંરક્ષણ માટે આ કામગીરી એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.













Leave a Reply