ભારતીય જનતા પાર્ટીમાં આજે નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના મુખ્યાલય ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ આજે સવારે 11:30 વાગ્યે યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંચ પર પહોંચીને નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નબીને શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપરાંત કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર અને હરદીપ સિંહ પુરી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પદભાર ગ્રહણ કરતા અગાઉ નીતિન નબીએ મંગળવારે દિલ્હીના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ આશીર્વાદ લીધા હતા. તેમણે ઝંડેવાલન મંદિરથી શરૂઆત કરી, બાદમાં વાલ્મીકિ મંદિર અને હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ ગુરુદ્વારા બાંગ્લા સાહિબમાં માથું ટેકવીને પ્રાર્થના કરી હતી.
નીતિન નબીનના ગૃહ રાજ્ય બિહાર તેમજ તેમના વિધાનસભા વિસ્તાર બાંકીપુરમાં આ સમાચારને લઈને ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નબીનના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાથી સ્થાનિક કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ છવાયો છે. બિહારના ભાજપ નેતા ડૉ. ગુરુ પ્રકાશ પાસવાને આ ઘટનાને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી.
આ નેતૃત્વ પરિવર્તન દ્વારા ભાજપે એવો સંદેશ આપ્યો છે કે પાર્ટીમાં સામાન્ય કાર્યકર પણ મહેનત અને સમર્પણથી સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે. આ પ્રસંગે દિલ્હીના ભાજપ નેતા રમેશ બિધુડીએ વિપક્ષ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “જ્યારે વિપક્ષ માત્ર Gen-Zની ચર્ચા કરે છે, ત્યારે ભાજપમાં 45 વર્ષનો એક કાર્યકર રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહ્યો છે. આ જ સાચું લોકતંત્ર છે.”















Leave a Reply