બહેરામપુરામાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, પોલીસ ચોકી પાછળ બે જૂથ વચ્ચે પથ્થરમારો

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં જમીન અને પ્રોપર્ટીની માલિકીના જૂના વિવાદને લઈને બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મોડી રાત્રે બહેરામપુરા પોલીસ ચોકીની પાછળના વિસ્તારમાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ વણસ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
અચાનક પથ્થરમારો થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવી બંને પક્ષોને અલગ કર્યા હતા.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી પથ્થરમારો કરનાર લોકોની ઓળખ અને ઘટનાના કારણ અંગે તપાસ શરૂ કરી છે. જમીન વિવાદને લઈને અગાઉથી ચાલતા મનદુઃખના કારણે આ અથડામણ થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.