દિલ્હીના વિજય ચોક ખાતે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી બાદ આજે ગુરુવારે (29 જાન્યુઆરી) ‘બીટિંગ ધ રિટ્રીટ’ સમારોહ યોજાયો છે. આ સમારોહ સાથે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોનું સત્તાવાર સમાપન થાય છે. 26 તારીખથી શરૂ થયેલા તમામ ઉજવણી કાર્યક્રમોનો આજે અંત આવ્યો છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ત્રણેય સેનાના પ્રમુખો, અન્ય કેન્દ્રીય મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. વિજય ચોકની આસપાસની તમામ ઈમારતોને આકર્ષક રંગબેરંગી લાઈટિંગથી શોભાવવામાં આવી હતી.
રાષ્ટ્રપતિને અપાઈ રાષ્ટ્રીય સલામી
સમારોહની શરૂઆતમાં સેનાએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સલામી આપી હતી. ત્યારબાદ તિરંગો લહેરાવાયો અને રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી. ભૂમિસેના, વાયુસેના અને નૌકાસેનાના બેન્ડ દ્વારા ‘કદમ-કદમ બઢાયે જા’ સહિતની દેશભક્તિપૂર્ણ ધૂનોની રજૂઆત સાથે કાર્યક્રમ આગળ વધ્યો.
બીટિંગ ધ રિટ્રીટની પરંપરા
બીટિંગ ધ રિટ્રીટ પરંપરા 16મી સદીમાં શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. મૂળરૂપે સૂર્યાસ્ત સમયે સૈનિકોને સંકેત આપવા માટે આ પ્રથા અમલમાં આવી હતી, જેથી તેઓ કિલ્લાની બહારથી અંદર પરત ફરતા. ભારતમાં આ સમારોહ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું સત્તાવાર સમાપન થાય છે. ત્રણેય સેનાના બેન્ડની સુમધુર અને ગૌરવભરી ધૂનો આ કાર્યક્રમને વિશેષ પ્રભાવશાળી બનાવે છે.
ઇતિહાસમાં બે વખત રદ થયો કાર્યક્રમ
ભારત પ્રજાસત્તાક બન્યા બાદ બે વખત બીટિંગ ધ રિટ્રીટ સમારોહ રદ કરવામાં આવ્યો હતો. 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે અને 2009માં પૂર્વ રાષ્ટ્રપતિ આર. વેંકટ રામનના અવસાનના કારણે આ કાર્યક્રમ યોજાઈ શક્યો ન હતો. 2015માં પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બગીમાં બેસીને સૈનિક દળોને બેરકમાં પરત મોકલી આ ઐતિહાસિક અંગ્રેજી પરંપરાને ફરી જીવંત કરી હતી. આજેય આ સમારોહ દેશભરમાં ગૌરવ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનવામાં આવે છે.















Leave a Reply