રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં સુનેત્રા પવારની રાજકીય સ્થિતિ દિવસો સાથે વધુ મજબૂત બની રહી છે. પતિ અજિત પવારના અચાનક અવસાન બાદ તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને હવે પાર્ટીની કમાન સંભાળવા માટે તેઓ આગળ આવી રહ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સુનેત્રા પવારના નામ પર સહમતિ બનતી જોવા મળી રહી છે.
પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન બાદ માત્ર ત્રણ દિવસમાં સુનેત્રા પવારે ડેપ્યુટી સીએમ પદ સંભાળ્યું હતું. શરૂઆતમાં એવી ચર્ચા ચાલી હતી કે પ્રફુલ્લ પટેલને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આ જવાબદારી સુનેત્રા પવારને સોંપવામાં આવે તેવી સંભાવના વધારે છે.
આ મુદ્દે પ્રફુલ્લ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પાર્ટીના મોટા ભાગના નેતાઓ સુનેત્રા પવારને અધ્યક્ષ બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, “અમે સૌ મળીને પાર્ટીને મજબૂત બનાવશું. અજિત પવારને સાચી શ્રદ્ધાંજલિ પણ આ જ રહેશે.” પટેલે વધુમાં ઉમેર્યું કે તેઓ પોતે અધ્યક્ષ પદની રેસમાં નથી અને ટૂંક સમયમાં પાર્ટીની બેઠક બોલાવીને સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ સુનેત્રા પવારને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તેમને પુણે અને બીડ જિલ્લાના ગાર્ડિયન મિનિસ્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ આ બંને જિલ્લાઓની દેખરેખ અજિત પવાર સંભાળતા હતા.
NCPના વિલયને લઈને ચાલી રહેલી અટકળો પર પણ પ્રફુલ્લ પટેલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે બંને NCP જૂથો (અજિત પવાર અને શરદ પવાર) વચ્ચે કોઈ સત્તાવાર વિલય પ્રસ્તાવ નથી. હાલની એકતા માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી જ મર્યાદિત છે. સાથે જ તેમણે કહ્યું કે NCP-SPના નેતાઓ સાથે મળવા અંગે કોઈ અડચણ નથી, કારણ કે ક્યારેક સૌ એક જ પરિવારનો ભાગ રહ્યા છે.














Leave a Reply