ઉત્તર પ્રદેશના લખનૌ નજીક ગોસાઈગંજ વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ભયાનક માર્ગ અકસ્માત બન્યો છે. લુધિયાણા થી દરભંગા જતી સ્લીપર બસ અચાનક પલટી જતા 7 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અંદાજે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
માહિતી મુજબ, સોમવારે સાંજે લગભગ 4:30 વાગ્યે જૌખંડી ગામ નજીક પૂરઝડપે દોડતી બસનો ડ્રાઈવર નિયંત્રણ ગુમાવી બેઠો હતો. પરિણામે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ અને ઘટનાસ્થળે ચીસો-પોકાર મચી ગઈ. સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી, બાદમાં ગોસાઈગંજ પોલીસ અને બચાવ દળ તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે રાહત કામગીરી હાથ ધરાઈ હતી.
પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી રહી છે. ઝડપ વધુ હોવા ઉપરાંત તેને ઊંઘનું ઝોકું આવ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. હાલ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.














Leave a Reply