રાષ્ટ્રપતિ ભવનમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ Droupadi Murmuએ રવિવારે સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ C. Rajagopalachari (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા પહેલા અહીં સ્થાપિત બ્રિટિશ આર્કિટેક્ટ Edwin Lutyensની પ્રતિમાના સ્થાને મુકાઈ છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણય દેશને ગુલામીની માનસિકતાથી મુક્ત કરવા માટે ચાલી રહેલા વિશાળ અભિયાનનો ભાગ છે. રાજાજીની પ્રતિમા રાષ્ટ્રપતિ ભવનના અશોક મંડપ નજીક આવેલા ગ્રાન્ડ ઓપન સ્ટેયરકેસ વિસ્તારમાં સ્થાપિત કરાઈ છે, જે Mahatma Gandhiની પ્રતિમાની સામે આવેલ છે.
‘રાજાજી ઉત્સવ’ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના ભાષણમાં જણાવ્યું કે રાજાજીનું સમગ્ર જીવન ભારતને માનસિક ગુલામીમાંથી બહાર લાવવાના પ્રયત્નો સાથે જોડાયેલું હતું. તેમણે યાદ અપાવ્યું કે સ્વતંત્રતા બાદ જ્યારે રાજાજી ગવર્નર હાઉસમાં રહ્યા, ત્યારે તેમણે બ્રિટિશ ઢબના આડંબરને બદલે પોતાના કક્ષમાં રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધીના ચિત્રો લગાવી ભારતીય સંસ્કૃતિ અને ઓળખને પ્રાથમિકતા આપી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રપતિ ભવનમાં બ્રિટિશ અધિકારીઓના ચિત્રો દૂર કરીને પરમવીર ચક્ર વિજેતાઓના ચિત્રો મૂકવામાં આવ્યા છે.
આ અવસરે વડાપ્રધાન Narendra Modiનો સંદેશ પણ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં પહેલા લુટિયન્સની પ્રતિમા હતી ત્યાં હવે રાજાજીની પ્રતિમા સ્થાપિત થવી એ માનસિક વસાહતી વિચારસરણીમાંથી મુક્તિ તરફનું મહત્વનું પગલું છે. આજનું રાષ્ટ્રપતિ ભવન ભારતીય સંસ્કૃતિ અને લોકશાહી આત્મવિશ્વાસનું પ્રતિક બની રહ્યું છે.
આ નિર્ણય અંગે લુટિયન્સના પરપૌત્ર અને બ્રિટિશ લેખક Matt Ridleyએ સોશિયલ મીડિયા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના પરદાદા દ્વારા ડિઝાઇન કરાયેલા ભવનમાંથી તેમની પ્રતિમા દૂર કરવી નિરાશાજનક ઘટના છે.














Leave a Reply