Andhra Pradeshમાં શનિવારે એક દુઃખદ ઘટના સામે આવી છે. Vettlapalem ગામ ખાતે આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે, જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના સમયે ફેક્ટરીમાં 20થી વધુ કામદારો હાજર હતા.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે લગભગ 2 વાગ્યાના આસપાસ ધડાકો થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આશરે 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ધડાકા બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં મદદ કરી.
રાજ્યના ગૃહમંત્રી Vangalapudi Anithaએ જણાવ્યું છે કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને ડૉક્ટરોની ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે.
આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી N. Chandrababu Naiduએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સંબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. સાથે જ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવાની ખાતરી આપી છે.
હાલ વહીવટીતંત્ર દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને ફેક્ટરીમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ પૂછપરછ ચાલી રહી છે.














Leave a Reply