ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો.
કાર્યકરોની અદભૂત ઊર્જા અને ઉમંગ તેમજ વિશાળ જનસમર્થન સાથે રોડ-શોનો શ્યામ શિખર ચાર રસ્તાથી પ્રારંભ થયો હતો. ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર એપ્રોચ, લીલાનગર, ખોડિયાર નગર રોડ, 80 ફૂટ રોડ બેટી બચાવો સર્કલ થઈ 80 ફૂટ રોડ ખોડિયાર મંદિર ખાતે આ ભવ્યાતિભવ્ય રોડ-શોનું સમાપન થયું હતું. આ રોડ-શો બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર અને વિરાટનગર વિસ્તાર માથી પસાર થયો હતો. રોડ-શો ના સમગ્ર રૂટ દરમિયાન યુવાઓ, મહિલાઓ અને વડીલો સહિત સૌ નાગરિકોએ પુષ્પવર્ષા કરી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આવકાર્યા હતાં.
ભાજપાના કેસરિયા ધ્વજ, કેસરી ખેસ તેમજ ભાજપાના પ્રચાર ગીત તથા દેશભક્તિના ગીતો, વંદે માતરમ્ અને ભારતમાતા કી જયના નારાની ગુંજ અને ઢોલ નગારાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ઉર્જામય બન્યું હતું અને જાણે કેસરિયો સાગર સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સૌ નાગરિકોનું અભિવાદન ઝીલી ભાજપાને અભૂતપૂર્વ સમર્થન દર્શાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો. રોડ-શો દરમિયાન પ્રજામાં જોવા મળેલ ઉત્સાહ અને સ્વયંભૂ સમર્થન આવનારી ચૂંટણીમાં ભાજપાના જંગી વિજયની સાક્ષી પૂરી રહ્યો હતો.
આ પ્રસંગે કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.













Leave a Reply