અમદાવાદના રાણીપ અને ન્યુ રાણીપને જોડતા બલોલનગર બ્રિજ પર મોડી રાત્રે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે પસાર થઈ રહેલા એક સ્પોર્ટ્સ બાઈકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક બ્રિજની રેલિંગ સાથે જોરદાર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો, જ્યારે બાઈક અકસ્માત સ્થળથી આશરે 20થી 25 મીટર દૂર જઈને બ્રિજ પર જ પડી રહ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બાઈક ખૂબ જ ઝડપમાં હોવાથી બ્રિજની સાઈડમાં લગાવેલું લોખંડનું પતરું પણ તૂટી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બલોલનગર બ્રિજ પર સતત વધી રહેલા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહિશોનું કહેવું છે કે આ બ્રિજ હવે ઓવરબ્રિજ નહીં પરંતુ ‘ડેથ ઝોન’ બની ગયો છે. થોડા દિવસો અગાઉ પણ આ જ સ્થળે સમાન પ્રકારનો અકસ્માત સર્જાયો હતો, છતાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.
સ્થાનિકો લાંબા સમયથી બ્રિજની બંને બાજુ મજબૂત અને ઊંચી રેલિંગ, સ્પીડ બ્રેકર તેમજ ડાયવર્ઝન માટેના ચેતવણી બોર્ડ લગાવવાની માંગ કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને સુરક્ષા વધારવા લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે, છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
બીજી તરફ, ઘટનાસ્થળે પહોંચેલી એલ-ડિવિઝન ટ્રાફિક પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે અકસ્માતમાં અન્ય કોઈ વાહન સામેલ ન હોવાથી હાલ સુધી પરિવારજનોએ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.













Leave a Reply