મિડલ ઈસ્ટ વિસ્તારમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધેલા યુદ્ધજન્ય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. યુદ્ધને પગલે ઘણા દેશોએ પોતાના એર સ્પેસ પર પ્રતિબંધ મૂકતા દુબઈ સહિતના વિસ્તારોમાં ગુજરાતના અનેક મુસાફરો ફસાઈ ગયા હતા. મુશ્કેલીમાં મુકાયેલા આ પ્રવાસીઓએ ભારત સરકારને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે વિનંતી કરી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરીને તેમને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ વ્યવસ્થાના ભાગરૂપે આજે વહેલી સવારે ખાસ ફ્લાઈટ દ્વારા લગભગ 170 મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. લાંબા સમય પછી પરિવારજનોને મળતાં એરપોર્ટ પર ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.
મુસાફરોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે દિવસથી દુબઈમાં ફસાયેલા હતા અને ત્યાં બોમ્બ તથા મિસાઈલના ધડાકાઓના અવાજો વચ્ચે ભયનો માહોલ સર્જાયો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારત સરકાર અને તંત્ર દ્વારા આપવામાં આવેલી મદદ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ તેમને ત્યાં રહેવા-જમવાની મફત સુવિધા તેમજ સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. વતનની ધરતી પર પગ મૂકતા જ મુસાફરો અને તેમના પરિવારજનોને મોટી રાહતનો અનુભવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક દિવસ અગાઉ પણ આશરે 210 મુસાફરોને લઈને બીજી એક ફ્લાઈટ અમદાવાદ પહોંચી હતી.














Leave a Reply