અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવાર (8 માર્ચ)ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંદાજે એક લાખથી વધુ ક્રિકેટપ્રેમીઓ તેમજ અનેક વી.આઈ.પી. મહેમાનો મેચ નિહાળવા માટે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. આ મોટી સંખ્યામાં આવનારા પ્રેક્ષકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે Ahmedabad City Police અને વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
કેટલાક માર્ગો રહેશે સંપૂર્ણ બંધ
મેચ દરમિયાન સ્ટેડિયમ આસપાસ ટ્રાફિકનું દબાણ વધે નહીં તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને કેટલાક રસ્તાઓને ‘નો એન્ટ્રી’ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જનપથ ટી-જંક્શનથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર સુધી અને ત્યાંથી કૃપા રેસિડન્સી થઈને મોટેરા ગામ તરફ જતો માર્ગ રવિવારે સવારે 10:00 વાગ્યાથી મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
મુસાફરો માટે વૈકલ્પિક માર્ગ
સ્ટેડિયમ તરફના રસ્તાઓ બંધ હોવાના કારણે વાહનચાલકોને અન્ય માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. તપોવન સર્કલ અને વિસત જંક્શન તરફથી જનપથ થઈને પાવર હાઉસ તરફ જઈ શકાય છે. ઉપરાંત પ્રબોધ રાવળ સર્કલથી કૃપા રેસિડન્સી માર્ગે ભાટ-કોટેશ્વર રોડ અથવા એપોલો સર્કલ તરફ પણ અવરજવર કરી શકાશે.
સુરક્ષા અને ટ્રાફિક માટે વિશેષ આયોજન
મેચ દરમિયાન ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આશરે 800થી વધુ ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને જવાનો વિવિધ સ્થળોએ તૈનાત રહેશે. ઉપરાંત સ્ટેડિયમની આસપાસ અનેક પાર્કિંગ વિસ્તારો પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેથી પ્રેક્ષકોને પાર્કિંગ સંબંધિત મુશ્કેલી ન પડે.














Leave a Reply