સાણંદના વિરોચનનગર ગામ નજીક ગત મોડી રાત્રે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલી આ ટક્કરમાં બે લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે અથડામણ બાદ તાત્કાલિક આગ ફાટી નીકળી, જેના કારણે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી.
માહિતી મુજબ, ડમ્પર અને ટેન્કરના ચાલકોની બેદરકારીના કારણે અકસ્માત બન્યો હતો. ટક્કર પછી કપચી ભરેલો ડમ્પર સંતુલન ગુમાવી બાજુમાં જતી થાર ગાડી પર પલટી ગયો હતો. પરિણામે થાર ગાડી કપચીના ઢગલા નીચે દબાઈ ગઈ અને તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના સ્થળ પર જ મોત થયા હતા. મૃતકોમાં એક સાણંદના અમથાપુરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજા વ્યક્તિની ઓળખ હજુ થઈ નથી.
અથડામણ બાદ થોડા જ સમયમાં ત્રણેય વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ જ્વાળાઓ દેખાઈ રહી હતી અને તમામ વાહનો બળી ને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અકસ્માત બાદ ડમ્પર અને ટેન્કરના ચાલકો વાહનો છોડી ભાગી ગયા હતા. સાણંદ જીઆઈડીસી પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તેમની શોધખોળ ચાલુ છે. પોલીસે ક્રેઈનની મદદથી નુકસાનગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક ફરી શરૂ કર્યો હતો.














Leave a Reply