અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને લઈને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ ઉભો થયો છે. જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસ મુજબ, રાત્રે આશરે 9:30 થી 10 વાગ્યાના સમય દરમિયાન સરખેજ ગામના ઠાકોરવાસ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું. હાલ પોલીસની વિવિધ ટીમો તપાસમાં લાગી છે અને સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
મૃતકના પરિવારજનોનો આરોપ છે કે હુમલાખોરો પૂર્વ તૈયારી સાથે આવ્યા હતા. શરૂઆતમાં તેઓ વાતચીતના બહાને આવ્યા અને પછી અચાનક ગાળાગાળી કરીને હુમલો કર્યો. બાદમાં તેમણે અન્ય લોકોને પણ બોલાવીને હુમલો વધુ ઉગ્ર બનાવ્યો અને ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા.
પરિવારજનોએ ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે પોલીસની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ પોતે પગલાં ભરવા મજબૂર થશે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.














Leave a Reply