હોળીના તહેવાર પછી સામાન્ય લોકો માટે ખર્ચમાં વધારો થવાનો છે. 1 એપ્રિલ 2026થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં ઉપયોગ થતી જરૂરી દવાઓના ભાવમાં વધારો થશે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) હેઠળ આવતી દવાઓની કિંમતોમાં અંદાજે 0.6% વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
ભાવ વધારો શા માટે?
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) મુજબ, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI)માં થયેલા ફેરફારના આધારે આ નિર્ણય લેવાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા પ્રમાણે 2024ની સરખામણીએ 2025માં WPIમાં લગભગ 0.65% નો વધારો નોંધાયો છે.
કઈ દવાઓ થશે મોંઘી?
આ નિર્ણયનો અસર 1,000થી વધુ આવશ્યક દવાઓ પર પડશે. જેમાં તાવ અને દુખાવા માટે વપરાતી પેરાસીટામોલ, બેક્ટેરિયલ ઈન્ફેક્શન માટેની એઝિથ્રોમાયસિન, એનીમિયા અને વિટામિનની ઉણપ માટેની દવાઓ તેમજ મિનરલ્સ અને સ્ટીરોઈડ્સનો સમાવેશ થાય છે.
કાચા માલના ભાવ અને વૈશ્વિક પરિસ્થિતિનો પ્રભાવ
ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોના કહેવા મુજબ આ વધારો પૂરતો નથી. ઈરાન સાથે ચાલી રહેલી જંગ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે દવાઓના કાચા માલ (API) અને સોલ્વન્ટ્સના ભાવમાં ભારે વધારો થયો છે. ગ્લિસરીનની કિંમતમાં 64% સુધીનો ઉછાળો આવ્યો છે, જ્યારે પેરાસીટામોલ APIમાં લગભગ 25% વધારો નોંધાયો છે. પેકેજિંગ માટે વપરાતા એલ્યુમિનિયમ ફોઈલ અને PVCના ભાવ પણ 40% સુધી વધી ગયા છે.
આ કારણે દવાઓના ઉત્પાદન ખર્ચમાં કુલ 30-35% જેટલો વધારો થયો છે, જ્યારે સરકાર દ્વારા મંજૂર કરાયેલો 0.6% નો વધારો ઉદ્યોગ માટે પૂરતો માનવામાં આવતો નથી. ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા આ મુદ્દે NPPA સમક્ષ રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.













Leave a Reply