અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના નળ સરોવર પોલીસ મથકની હદમાં આવેલા ધરજી ગામમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે. દારૂના ગેરકાયદે વેચાણ અંગે મળેલી બાતમીના આધારે દરોડા માટે ગયેલી પોલીસ ટીમ પર ગામલોકોના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો, જેના કારણે સમગ્ર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ, નળ સરોવર પોલીસને ધરજી ગામમાં મોટા પાયે દારૂના વેપાર અંગે માહિતી મળી હતી. આ આધારે પોલીસ ટીમ જ્યારે સ્થળ પર પહોંચી, ત્યારે ગામમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. શરૂઆતમાં બોલાચાલી થઈ, પરંતુ વાત ઝડપથી ઉગ્ર બની ગઈ અને આશરે 100થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો. ટોળાએ પોલીસ કર્મચારીઓને જમીન પર પટક્યા અને તેમને દોડાવી-દોડાવીને માર માર્યો, જેના કારણે પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ વધારાનો પોલીસ કાફલો મોકલવામાં આવ્યો હતો. પોલીસ પર થયેલા આ હુમલા બાદ નળ સરોવર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને 100થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. ઘટનાના બાદથી જ હુમલામાં સંડોવાયેલા લોકો ગામ છોડીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પોલીસે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ તેજ કરી છે.













Leave a Reply