2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 207 બેઠકો સાથે ઐતિહાસિક જીત નોંધાવીને મમતા બેનરજીના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો છે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ તૃણમૂલ કોંગ્રેસના સત્તાકીય માળખામાં પણ ધ્રુસકો જોવા મળી રહ્યો છે. મમતા બેનરજીના નજીકના ગણાતા અનેક વરિષ્ઠ અધિકારીઓ, સલાહકારો અને કાનૂની ટીમના સભ્યોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે.
મમતા બેનરજીના સૌથી વિશ્વાસુ સાથી અને પૂર્વ મુખ્ય સચિવ અલાપન બંદ્યોપાધ્યાયે મંગળવારે (5 મે 2026) પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. વર્ષ 2021માં કેન્દ્ર સરકાર સાથે થયેલા વિવાદ દરમિયાન મમતાએ અલાપનના સમર્થનમાં મજબૂત વલણ અપનાવ્યું હતું. તેમની સાથે પૂર્વ મુખ્ય સચિવ એચ.કે. દ્વિવેદીએ પણ પદ છોડતા રાજ્યના વહીવટી તંત્રમાં મોટી ખળભળાટ મચી છે. બંને અધિકારીઓને મમતા સરકારના સૌથી પ્રભાવશાળી ચહેરા માનવામાં આવતા હતા.
આ સાથે પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ (WBIDC)ના અધ્યક્ષ અને જાણીતા અર્થશાસ્ત્રી અભિરૂપ સરકારે પણ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા બાદ પોતે આ પદ પર રહેવું યોગ્ય નથી માનતા. બીજી તરફ સરકારના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ પણ રાજભવનમાં પોતાનું રાજીનામું સોંપ્યું છે. કોર્ટમાં મમતા સરકારનો બચાવ કરવાની મહત્વની જવાબદારી અત્યાર સુતેઓ સંભાળી રહ્યા હતા.
મીડિયા અને સોશિયલ મીડિયા નેરેટિવ સંભાળતા વરિષ્ઠ સલાહકારોએ પણ પોતાના હોદ્દા છોડી દીધા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સચિવાલય ‘નબન્ના’માં હાલ શાંત માહોલ જોવા મળી રહ્યો છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અનેક IAS અને IPS અધિકારીઓ નવી ભાજપ સરકાર સાથે તાલમેલ સાધવા માટે સક્રિય થયા છે.
આ તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે મમતા બેનરજી હજી પણ આક્રમક વલણમાં જોવા મળી રહ્યા છે. તેમણે ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે અને તરત રાજીનામું આપવાના મુદ્દે સ્પષ્ટતા ટાળી છે. હવે સૌની નજર ભાજપ સરકાર દ્વારા નવા વહીવટી અને કાનૂની માળખાની રચના પર રહેશે, જ્યારે મમતા બેનરજી પોતાના જૂના સાથીદારો વિના કેવી રીતે રાજકીય લડત આગળ વધારે છે તે પણ મહત્વનું બનશે.













Leave a Reply