રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026 માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસરખી તારીખો અનુસાર વેકેશન અમલમાં મૂકવાનું રહેશે, જેથી સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સમયપત્રકમાં સમન્વય જળવાઈ રહે.
આ પરિપત્ર મુજબ, ઉનાળુ વેકેશનનો પ્રારંભ 4 મે, 2026થી થશે અને 7 જૂન, 2026 સુધી ચાલુ રહેશે. એટલે કે, વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું લાંબું વેકેશન મળશે. વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન, 2026થી શાળાઓ ફરીથી રાબેતા મુજબ શરૂ થશે.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને આ સૂચનાનો કડક અમલ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે. તેમને પોતાના જિલ્લામાં આવેલી તમામ શાળાઓમાં આ તારીખો જાહેર કરવા અને યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે સંકલન સાધવાનું કહેવામાં આવ્યું છે.
આ નિર્ણયનો અમલ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ સંસ્થાઓ તેમજ સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે અધ્યાપન મંદિર અને બાલ અધ્યાપન મંદિરોમાં ફરજિયાત રીતે કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ઉનાળાની ગરમીથી રાહત મળે અને નવા શૈક્ષણિક સત્ર માટે તેઓ તાજગીભેર તૈયાર થઈ શકે તે માટે આ વેકેશન મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.















Leave a Reply