સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખનીજ ચોરી સામે તંત્ર દ્વારા સતત ચોથા દિવસે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોટા કેરાળા ગામ નજીક ભોગાવો નદીના પટમાં આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પર ખનીજ વિભાગની ટીમે છાપો મારી અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વાહનો અને ભારે મશીનરી કબજે
પ્રાપ્ત વિગતો મુજબ, દરોડા દરમિયાન ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંકળાયેલા મોટા પાયાના સાધનો મળી આવ્યા હતા. ખનિજ પરિવહન માટે ઉપયોગમાં લેવાતા 17 ડમ્પર તેમજ જમીન ખોદકામ માટેના 2 એક્સકેવેટર સહિત કુલ મળીને 3 કરોડથી વધુની કિંમતની સામગ્રી જપ્ત કરીને કેરાળા રોડ પર આવેલી ક્વોરી ખાતે રાખવામાં આવી છે.
સુરક્ષા નિયમોની ઉલ્લંઘના સામે આવી
તપાસ દરમિયાન ખાણ વિસ્તારમાં ગંભીર બેદરકારી પણ સામે આવી હતી. બ્લાસ્ટિંગ માટે વપરાતા વિસ્ફોટકો ખુલ્લી અને અસ્થિર હાલતમાં મળ્યા હતા, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તેવી સ્થિતિ દર્શાવે છે. ગેરકાયદે ખનનમાં આવા ખતરનાક વિસ્ફોટકોના ઉપયોગ અંગે તંત્રએ ગંભીર નોંધ લીધી છે.
ગેરકાયદે ખોદકામની માપણી શરૂ
સાયલા વિસ્તારમાં કાર્બોસેલ અને પથ્થરની ચોરીના બનાવો વધતા જતા હોવાથી ખનીજ વિભાગ સતર્ક બન્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ખાણમાંથી અત્યાર સુધી કેટલું ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું છે તેની વિગતવાર માપણી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખનીજ ચોરીની ચોક્કસ કિંમત નક્કી કરીને જવાબદાર સામે ભારે દંડ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.














Leave a Reply