અમદાવાદના એસપી રિંગ રોડ પર હોટેલ હિલ્લોક નજીકનો ડિવાઇડર કટ બંધ કરવાના નિર્ણયથી આસપાસના વિસ્તારોમાં અસંતોષ ફેલાયો છે. ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ ઔડા અને પોલીસ વિભાગે આ કટ બ્લોક કરી દીધો, જેના વિરોધમાં આજે (8 ફેબ્રુઆરી) ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના રહીશોએ રસ્તા પર આવીને સહી અભિયાન શરૂ કર્યું છે. સ્થાનિકોનો આરોપ છે કે રાજકીય નેતાઓની સુવિધા માટે સામાન્ય નાગરિકોની રોજબરોજની અવરજવર મુશ્કેલ બનાવવામાં આવી છે.
ડિવાઇડર કટ બંધ થતાં વાહનચાલકોને હવે 3થી 4 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે, જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે. ખાસ કરીને ન્યુ ત્રાગડના રહીશોને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જવા માટે આ કટ ખૂબ ઉપયોગી હતો. વિરોધમાં સામેલ મહિલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શા માટે ધ્યાન નથી આપી રહ્યા. સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિકની સમસ્યાનું ઉકેલ કટ બંધ કરવાથી નહીં પરંતુ યોગ્ય ટ્રાફિક સિગ્નલ લગાવવાથી આવી શકે.
રહીશોએ આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી તથા સ્થાનિક કોર્પોરેટરોને લેખિત રજૂઆત કરી છે. તંત્ર દ્વારા તપાસ કરવાની વાત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ સ્પષ્ટ પગલાં લેવાયા નથી. પરિણામે, વધતી ટ્રાફિક સમસ્યાથી કંટાળેલા નાગરિકોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે અને તેમની મુખ્ય માંગ છે કે આ ડિવાઇડર કટ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે.














Leave a Reply