અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી સ્ટ્રીટ વેન્ડરોને દૂર કરવાની કાર્યવાહી અંગે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ દલીલ કરી કે વેન્ડરોને ફરીથી મૂળ સ્થાને બેસાડવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ગંભીર બની શકે છે. કોર્પોરેશનનું કહેવું હતું કે હાલમાં તેમને ભદ્રથી આશરે 100 મીટર દૂર પ્લોટ-A અને પ્લોટ-Bમાં તાત્કાલિક રીતે ખસેડવામાં આવ્યા છે.
AMCનો પક્ષ
કોર્પોરેશનના વકીલે રજૂઆત કરી કે ફેબ્રુઆરી 2026 સુધીમાં 800થી વધુ વેન્ડરોને પાછા ભદ્ર વિસ્તારમાં સ્થાન આપવાથી વાહન વ્યવહાર પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી હાલની વચગાળાની વ્યવસ્થા જ યથાવત રાખવી જરૂરી છે.
હાઈકોર્ટની ટકોર
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડી.એન. રેની ખંડપીઠે AMCના અભિગમ પર અસંતોષ વ્યક્ત કર્યો. અદાલતે નોંધ્યું કે 2019થી કાર્યરત વેન્ડરોને 2025માં બળજબરીથી હટાવવું સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટની ભાવના વિરુદ્ધ છે. કોર્પોરેશનની કાર્યવાહીથી વેન્ડરોમાં અવિશ્વાસ ફેલાયો છે. જો હાલની પરિસ્થિતિમાં ફેરફાર થયો હોય તો નવી સર્વે પ્રક્રિયા હાથ ધરવી, પરંતુ કાયદેસરની જોગવાઈઓ હેઠળ 844 વેન્ડરો માટે યોગ્ય આયોજન કરવું જરૂરી હોવાનું અદાલતે જણાવ્યું.
લાંબી કાનૂની પ્રક્રિયા
આ મુદ્દો 2014થી ચાલી રહ્યો છે, જ્યારે ભદ્ર પુનર્વિકાસ પ્રોજેક્ટ દરમિયાન ખોદકામ અને બેરિકેડિંગના કારણે વેન્ડરોની રોજગારી પર અસર પડી હતી. SEWA સહિતના સંગઠનો દ્વારા આ મુદ્દે કાનૂની લડત લડી રહી છે. આ દરમિયાન 372 સભ્યોને લાયસન્સ મળ્યા છે. કુલ 844 વેન્ડરોમાંથી 264 પાસે માન્ય વેન્ડિંગ પ્રમાણપત્ર છે, જ્યારે AMC તેમની પુનઃચકાસણીની માંગણી કરી રહી છે.
અદાલતના નિર્દેશ
હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ટ્રાફિકની દલીલના આધારે વેન્ડરોને રોજગારથી વંચિત રાખી શકાય નહીં. ઓળખાયેલા સ્થળોએ યોગ્ય વ્યવસ્થા સાથે તેમને સમાવવાનો કાયદેસર રસ્તો અપનાવવો પડશે. તાત્કાલિક વ્યવસ્થા માત્ર જીવનયાપન ચાલુ રહે તે માટે હતી; કાયમી ઉકેલ કાયદાના માળખામાં જ લાવવામાં આવવો જોઈએ.














Leave a Reply