અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા શ્યામાપ્રસાદ મુખરજીનગરના ચાર માળિયા વિસ્તારમાં ગત રાત્રે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. અંગત દુશ્મનીના કારણે એક યુવાનની નિર્દયી રીતે હત્યા થતાં વિસ્તારમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જાયું છે.
ઘટનાની વિગત
માહિતી મુજબ, વટવામાં રહેતા મોહમદશકીલ પર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી આસીફ શેખ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે બાદ વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો. આસીફ શેખે મોહમદશકીલ પર છરીથી હુમલો કરી ડાબા પગના સાથળ ભાગે ઘા કર્યા હતા. ત્યારબાદ માથા પર ઈંટોથી પ્રહાર કરતા મોહમદશકીલ ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
જૂની અદાવત બન્યું કારણ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અને મૃતક વચ્ચે અગાઉથી રોષ હતો. મોહમદશકીલનો આરોપીના સાળા સદામ સાથે અગાઉ કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ જૂની અદાવતના કારણે આસીફ શેખે બદલો લેવા હુમલો કર્યો હોવાની આશંકા છે.
પોલીસની કાર્યવાહી
ઘટનાની માહિતી મળતા જ મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને આસીફ શેખ તેમજ અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ અને તપાસ શરૂ કરવામાં આવી છે.














Leave a Reply