જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભક્તિ અને ઉમંગનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. અંદાજે આઠ લાખ જેટલા ભાવિકો Bhavnath તળેટીમાં ઉમટી પડ્યા હતા. બપોર પછી રવેડીના રૂટ પર બેરીકેડિંગ કરવામાં આવતા જ લોકો તડકામાં જ સ્થિર થઈ બેઠા રહ્યા અને કલાકો સુધી રવેડી નિહાળવાની રાહ જોતા રહ્યા.
સવારથી જ ભક્તોનો પ્રવાહ અવિરત રહ્યો હતો. ભાવિકોએ Bhavnath Mahadev Temple ખાતે દર્શન કર્યા, અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કર્યો અને ઉપવાસ કરનારોએ ફરાળ લીધો. શિવરાત્રી નિમિત્તે મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જ્યારે Mrigi Kund ગુલાબની પાંખડીઓથી સુશોભિત કરાયો હતો. વિવિધ આશ્રમોમાં ભાંગની પ્રસાદી પણ વહેંચાઈ હતી.
ભારે ભીડને કારણે Vagheshwari Temple નજીક સુધી જતી એસટી બસ સેવા સ્થગિત કરાઈ હતી, જેથી લોકો ગિરનાર દરવાજાથી પગપાળા તળેટીમાં પહોંચ્યા હતા.
રાત્રીના શ્રી પંચ દશનામ જુના અખાડાથી પરંપરાગત રવેડીનો પ્રારંભ થયો. જુના અખાડાના આરાધ્યદેવ દત્તાત્રેય ભગવાન, આવાહન અખાડાના શ્રી ગણેશજી અને અગ્નિ અખાડાની ગાયત્રીમાતાજીની પાલખીઓ સાથે મહામંડલેશ્વરો તથા દિગમ્બર સાધુઓ જોડાયા હતા. નવા રૂટ પર વાજતે-ગાજતે નીકળેલી રવેડીમાં દિગમ્બર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત અને તલવારબાજી જેવા કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.
રવેડી જુના અખાડાથી શરૂ થઈ મંગલનાથજી આશ્રમ, દતચોક, શેરનાથ બાપુ આશ્રમ અને રીંગ રોડ માર્ગે ફરી મોડી રાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં પ્રથમ આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું, ત્યારબાદ સાધુ-સંતોએ પણ પવિત્ર સ્નાન કર્યું. મહાઆરતી અને “હર હર મહાદેવ” તથા “જય ગિરનારી”ના નાદ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો પૂર્ણ થયો.
મેળા પૂર્ણ થયા બાદ રાતભર લોકોનો પ્રવાહ જૂનાગઢ શહેર તરફ વળ્યો હતો. એસટી પોઈન્ટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, કાળવા ચોક અને મજેવડી દરવાજા સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક અને ભીડનો માહોલ જોવા મળ્યો હતો.














Leave a Reply