રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવાર, 23 ફેબ્રુઆરીએ શહેરના ઈતિહાસનું સૌથી વિશાળ દિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવશે. જંગલેશ્વર અને આજી નદીના પટ વિસ્તારમાં વર્ષોથી સરકારી અને મહાનગરપાલિકાની જમીન પર બનેલા 1489 મકાનો હટાવવા માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે કલમ 163 અમલમાં મુકાઈ છે.
કડક સુરક્ષા વ્યવસ્થા
આ અભિયાન માટે મહાનગરપાલિકાના 1130થી વધુ કર્મચારીઓ ખાસ સુરક્ષા સાધનો સાથે તહેનાત રહેશે. ઉપરાંત 260થી વધુ મશીનો અને વાહનો—જેમ કે જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પર—કાર્યરત રહેશે. અંદાજે 87,000 ચોરસ મીટર જમીન (આજી નદી પટની 55,000 અને ટી.પી. રોડની 32,000 ચો.મી.) ખુલ્લી કરાશે.
પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. 26 ફેબ્રુઆરી સુધી ચારથી વધુ લોકોના એકત્ર થવા પર મનાઈ રહેશે. 2500થી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વિરોધના કિસ્સામાં તાત્કાલિક પગલાં લેવાશે.
વૈકલ્પિક આવાસ નહીં
તંત્રનું કહેવું છે કે અગાઉ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવ્યા હતા અને તેનો પુરાવો જાહેર કરવામાં આવ્યો છે. તેથી આ વખતે કોઈ નવી વસાહત કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં આશરે 225 પરિવારો સ્વેચ્છાએ મકાન ખાલી કરી ચૂક્યા છે.
દિમોલિશન કેમ જરૂરી?
વિસ્તારની ગલીઓ અતિ સાંકડી હોવાથી આગ કે અન્ય આકસ્મિક ઘટના સમયે રાહત અને બચાવ કાર્ય મુશ્કેલ બને છે. ચોમાસામાં આજી નદીમાં આવતા પૂરના કારણે જાનહાનિ અને નુકસાનનું જોખમ વધે છે. તેમજ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.
છેલ્લા કેટલાક દિવસોથી તંત્રની કામગીરીને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે. ઘણા પરિવારો પોતાનું ઘર છોડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા છે, જ્યારે કેટલાક રહેવાસીઓએ વિરોધ પણ નોંધાવ્યો છે. સોમવારે સવારે 8 વાગ્યાથી કામગીરી શરૂ થઈ અંદાજે ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે.














Leave a Reply