આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંગળા અને શણગાર આરતી દરમિયાન ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ જણાવ્યું હતું કે આ વખતે નગરયાત્રાનો માર્ગ આશરે 8.5 કિલોમીટર લાંબો રહેશે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે બે નવા વિસ્તારો — ખાડિયા અને રાયપુર —ને માર્ગમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે માતાજીના રથને પ્રસ્થાન કરાવવા હર્ષ સંઘવી આવવાના હતા, પરંતુ અંતિમ ક્ષણે તેઓ હાજર રહી શક્યા નહોતા. તેમની જગ્યાએ અમદાવાદની મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા અને વિધિ પૂર્ણ કરી થોડા જ સમયમાં રવાના થયા હતા.
મેયર પ્રતિભા જૈન તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી નગરયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વિધિ પૂર્ણ થયા બાદ અખાડા અને ભજન મંડળીઓ સાથે માતાજીનો રથ શહેરમાં ભવ્ય રીતે આગળ વધ્યો હતો. ધજા-પતાકા, ઢોલ-નગારા અને અખાડાના કરતબો સાથે યાત્રા ત્રણ દરવાજા તરફ પ્રસ્થાન કરી હતી.
વિશેષ અવસરને ધ્યાનમાં રાખીને મંદિરને ઓર્કિડ અને ગલગોટાના ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. ભક્તો ઢોલ અને ડાકલાના તાલે ભક્તિગીતો ગાઈ આનંદ માણતા જોવા મળ્યા હતા. રાવળ દેવ દ્વારા ડાકલાના નાદ સાથે માતાજીને રથમાં વિરાજિત કરવામાં આવ્યા હતા.
નગરયાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી. 350થી વધુ પોલીસ કર્મચારીઓ મંદિર પરિસર અને યાત્રામાર્ગ પર તૈનાત કરવામાં આવ્યા હતા. માતાજીના રથના પ્રસ્થાન પહેલા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ડીજેનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.














Leave a Reply