કેરળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. રાજ્યમાં એક તરફ ડાબેરી પક્ષોના નેતૃત્વ હેઠળ LDF ગઠબંધન છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વમાં UDF ગઠબંધન કાર્યરત છે. તાજેતરમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મુદ્દાઓને લઈને મતભેદ સામે આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ખાસ કરીને ડાબેરી પક્ષોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે કેરળમાં રાહુલ ગાંધી ડાબેરી પક્ષો પર સતત આક્રમક ટિપ્પણીઓ કરી રહ્યા છે, જે ગઠબંધનની એકતા માટે યોગ્ય નથી.
દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં સંસદના ચાલુ સત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન ડાબેરી સાંસદ જૉન બ્રિટ્સ અને પી. સંતોષ કુમારે રાહુલ ગાંધીના નિવેદનો અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કેવી રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન હોવાનો દાવો કરી શકે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં આક્ષેપ કર્યો હતો કે કેરળમાં ભાજપ અને કોમ્યુનિસ્ટ વચ્ચે સમજૂતી છે. તેમણે ‘કોમ્યુનિસ્ટ જનતા પાર્ટી’ જેવી ટર્મનો ઉપયોગ પણ કર્યો હતો, જેના કારણે ડાબેરી નેતાઓમાં નારાજગી જોવા મળી છે. ડાબેરી નેતાઓએ કહ્યું કે જો ગઠબંધનના સાથી પક્ષો વિશે આવી ટિપ્પણીઓ કરવામાં આવશે તો ગઠબંધન ચલાવવું મુશ્કેલ બની શકે.
આ મામલે કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે ડાબેરી સાંસદોની પ્રતિક્રિયા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ મુદ્દે પછીથી વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને રાહુલ ગાંધીના નિવેદનનો સાચો અર્થ શું હતો તે પણ સ્પષ્ટ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ગઠબંધનની બેઠક દરમિયાન રાહુલ ગાંધીના ભાષણના એક ભાગને લઈને વિવાદ ઉભો કરવો યોગ્ય નથી. બેઠક દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર હતા અને તેમણે કહ્યું કે આ મુદ્દા પર પછી ચર્ચા કરવામાં આવશે. મોટા ભાગના નેતાઓએ સૂચન કર્યું કે હાલની બેઠકમાં મુખ્યત્વે સંસદના એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
















Leave a Reply