અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મુક્તિધામ નજીકના અમરનાથ એસ્ટેટમાં ગુરુવારે મોડી રાત્રે એક અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. રાત્રે અંદાજે 11.30 વાગ્યે લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ અને સમગ્ર કારખાનાને લપેટમાં લઈ લીધું. અગરબત્તી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને તેના ધુમાડાના ગાઢ ગોટેગોટા દૂરથી પણ નજરે પડતા હતા. સદનસીબે, ફેક્ટરી રાત્રિના સમયે બંધ હોવાથી અંદર કોઈ કર્મચારી હાજર ન હતો, જેથી જાનહાનિ ટળી હતી.
નવ ફાયર ફાઈટર ગાડીઓ દોડી આવી
આગની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કુલ નવ ફાયર ફાઈટર ગાડીઓએ ત્રણથી ચાર કલાક સુધી ભારે પ્રયાસો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કારખાનામાં મોટી માત્રામાં સંગ્રહિત માલસામાન હોવાને કારણે આગ બુઝાવવાની કામગીરી મુશ્કેલ બની હતી. છઠ્ઠી ફેબ્રુઆરીની વહેલી સવાર સુધી કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકી પણ સ્થળ પર પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ
કારખાનાની આસપાસ 30થી વધુ રહેણાંક સોસાયટીઓ હોવાથી આગના સમાચારથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ભયના માહોલમાં અનેક રહીશો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, આટલી મોટી આગ છતાં કારખાનાના માલિકનો કોઈ પત્તો ન લાગતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
















Leave a Reply