તમિલનાડુમાં રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. અભિનેતા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK)એ મોટું રાજકીય દાવ રમતાં ચેતવણી આપી છે કે જો DMK અને AIADMK વચ્ચે ગઠબંધન થશે, તો TVKના તમામ 108 ધારાસભ્યો સામૂહિક રાજીનામાં આપી દેશે. સૌથી વધુ બેઠકો જીત્યા છતાં સરકાર બનાવવાની તક ન મળતાં વિજયની પાર્ટીએ DMK અને AIADMK પર અંદરખાને મિલીભગતનો ગંભીર આરોપ લગાવ્યો છે.
રાજ્યપાલના નિર્ણય બાદ રાજકીય ઘમાસાણ
શુક્રવારે તમિલનાડુના રાજ્યપાલ આર.વી. અર્લેકરે TVKને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો હતો. રાજ્યપાલે સ્પષ્ટ જણાવ્યું કે સરકાર રચવા માટે પાર્ટીએ 118 ધારાસભ્યોના સમર્થન પત્રો રજૂ કરવા પડશે. હાલ TVKને કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાનું કહેવાય છે, જ્યારે અન્ય નાના પક્ષો અને વામપંથી સંગઠનો સાથે પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે. પોતાની સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરતા વિજય હવે કાયદાકીય લડત લડવા અને અદાલતનો દરવાજો ખખડાવવા તૈયારી કરી રહ્યા છે.
DMK-AIADMK ગઠબંધનની ચર્ચાએ ગરમાવ્યો માહોલ
રાજ્યની અસ્થિર રાજકીય પરિસ્થિતિ વચ્ચે DMKએ તાત્કાલિક બેઠક બોલાવી હતી, જેમાં પક્ષ પ્રમુખ એમ.કે. સ્ટાલિનને તમામ નિર્ણયો લેવા માટે સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે DMK બહારથી સમર્થન આપે અને AIADMKના નેતા ઈ. પલાનીસ્વામી મુખ્યમંત્રી બને તેવી સંભાવનાઓ પર વિચાર ચાલી રહ્યો છે. જોકે આ પ્રકારનું અણધાર્યું ગઠબંધન જનતા વચ્ચે ભારે નારાજગી ઊભી કરી શકે છે, જેના કારણે બંને પક્ષો સાવચેત વલણ અપનાવી રહ્યા છે.
વિજયને મળ્યો વિરોધ પક્ષોનો ટેકો
રાજ્યપાલના નિર્ણય સામે વિપક્ષોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. CPIએ રાજ્યપાલને બંધારણીય પરંપરા મુજબ સૌથી મોટી પાર્ટીને બહુમતી સાબિત કરવાની તક આપવા અપીલ કરી છે. ઉપરાંત VCKના નેતા થોલ તિરુમાવલવન અને અભિનેતા કમલ હાસને પણ વિજયની પાર્ટીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. રાજ્યમાં વધી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવી હવે તંત્ર માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે.
















Leave a Reply